ગુરુ માર્ગી (13.09.2020) : દૈવીય આશીર્વાદની પ્રાપ્તિ
મે મહિનાથી વક્રી
ભ્રમણ કરી રહેલાં ગુરુ મહારાજ 13 સપ્ટેમ્બર,
2020ના રોજ ધનુ રાશિમાં માર્ગી થયાં છે. આ એક શુભ અને દૈવીય
આશીર્વાદની પ્રાપ્તિ થાય તેવાં સમયની શરૂઆત કહી શકાય. જ્યારે પણ કોઈ ગ્રહ વક્રી થાય
છે ત્યારે તેના ફળને લગતી બાબતો વિલંબમાં પડે છે. નવેય ગ્રહોમાં ગુરુ સૌથી શુભ
ગ્રહ છે અને આવો શુભ ગ્રહ વક્રી હોવાથી તેના ફળમાં આવી રહેલો વિલંબ હવે દૂર થશે. તેમાં
પણ ધનુ રાશિ તો વળી ગુરુની પોતાની રાશિ છે અને અહીં ગુરુ સંપૂર્ણપણે બળવાન અને શુભ
બને છે.
ગુરુ ધનુ રાશિમાં 23
અંશે માર્ગી થયો છે. જો આપની કુંડળીમાં ધનુ રાશિના 23 અંશ આસપાસનું જન્મલગ્ન હોય
અથવા તો તે અંશે સૂર્ય કે ચંદ્ર જેવાં ગ્રહો પડેલાં હોય તો વિશેષ આશીર્વાદની
પ્રાપ્તિ થઈ શકે છે. હજુ પણ જ્યારે 23 સપ્ટેમ્બર,
2020ના રોજ કેતુ ધનુ રાશિમાંથી નીકળીને વૃશ્ચિકમાં પ્રવેશ કરી જશે
અને ગુરુ મહારાજ કેતુના પાપપ્રભાવથી મુક્ત બનશે ત્યારે વધુ શુભ ફળ આપવાં શક્તિમાન બનશે.
30 ઓક્ટોબર, 2020થી 20 નવેમ્બર, 2020 સુધી ગુરુ ધનુ રાશિના અંતિમ અંશોમાં ગોચર ભ્રમણ કરતાં વર્ગોત્તમી બનશે.
જ્યારે કોઈ ગ્રહ જન્મલગ્ન અને નવમાંશ કુંડળીમાં એક જ રાશિમાં હોય ત્યારે તે
વર્ગોત્તમી બન્યો કહેવાય. વર્ગોત્તમી ગ્રહ બળવાન બનીને વધુ શુભ ફળ આપે છે.
મિથુન, કન્યા, ધનુ
અને મીન જન્મલગ્ન/જન્મરાશિઓ માટે પંચમહાપુરુષ પૈકીના શુભ એવાં હંસમહાપુરુષ યોગની
રચના થઈ રહી છે. ધનુ રાશિ અગ્નિતત્વ ધરાવે છે અને ગુરુનું ધનુ રાશિ ભ્રમણનું શુભ
ફળ અન્ય અગ્નિતત્વ ધરાવતી મેષ અને સિંહ જન્મરાશિઓ/જન્મલગ્નોને પણ જરૂર મળશે. ગુરુ
એ ‘આપનાર’ ગ્રહ છે. જન્મલગ્ન અનુસાર અશુભ
ભાવનો સ્વામી હોય કે અશુભ ભાવમાંથી પસાર થઈ રહ્યો હોય છતાં પણ કશુંક તો ‘આપતો’ જ જાય છે. જ્ઞાન અને ડહાપણના કારક એવાં
ગુરુનું આ માર્ગી ભ્રમણ નવા સાહસોની શરૂઆત માટે તેમજ જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ
માટે શુભ બની રહેવાની સંભાવના છે.
ટિપ્પણીઓ