આકાશ પરિચય

પૃથ્વી અને બાકીનાં ગ્રહો સૂર્ય આસપાસ પરિભ્રમણ કરે છે. વિજ્ઞાનની આ પરિભાષાને Heliocentric model કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષમાં પૃથ્વીને કેન્દ્રબિંદુ ગણવામાં આવે છે અને સૂર્ય પૃથ્વી આસપાસ પરિભ્રમણ કરી રહ્યો છે એવું માનવામાં આવે છે. આ પરિકલ્પનાને Geocentric model કહેવામાં આવે છે. જ્યોતિષને સમજવાં માટે ભારતીય જ્યોતિષની આ પરિકલ્પના સમજવી જરૂરી છે.

પૃથ્વી પોતાની ધરી પર સતત ભમરડાંની જેમ પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી રહે છે અને ૨૪ કલાકની અંદર પોતાનું એક ભ્રમણ પૂરું કરે છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી હોવાને લીધે પૃથ્વી પરથી જોનારને સૂર્ય દરરોજ પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમી જતો દેખાય છે. આપણે ટ્રેનમાં બેઠાં હોઇએ અને જે રીતે બહાર માર્ગ પર સ્થિર ઉભેલાં વૃક્ષો ટ્રેનની વિરૂધ્ધ દિશામાં જતાં દેખાય છે તે જ રીતે પૃથ્વી પરથી નિરિક્ષણ કરતાં સૂર્ય અને બીજાં સ્થિર તારાઓ પૃથ્વીનાં ભ્રમણની વિરૂધ્ધ દિશા એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ જતાં દેખાય છે.

આકાશમાં જુદાં-જુદાં સ્થિર તારક વૃંદો રહેલાં છે. તારાઓના આ સમૂહો એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ જોઇ શકાય છે. આ તારક વૃંદોને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી પરથી બાર મહિના સુધી જો સતત આકાશનું નિરિક્ષણ કરવામાં આવે તો સમજાશે કે એક વાર એક નક્ષત્ર સાથે રહેલો સૂર્ય જુદાં જુદાં નક્ષત્રોમાંથી પસાર થઈને બાર મહિનાને અંતે ફરી એ જ પ્રથમ નક્ષત્ર પાસે આવી જાય છે. આથી કહી શકાય કે એક વર્ષની અંદર સૂર્યએ એક વર્તુળાકાર પ્રદક્ષિણા પૂરી કરી છે. સૂર્યનો આ ભ્રમણમાર્ગ ચોક્કસ અને કાયમી સ્વરૂપનો છે અને તેમાં કોઇ જ ફેરફાર થતો નથી. સૂર્યના આ ભ્રમણમાર્ગને "ક્રાન્તિવૃત" કહેવામાં આવે છે. ક્રાન્તિવૃત એ બીજુ કશું નથી પણ પૃથ્વીનાં જ સૂર્ય ફરતેનાં ભ્રમણમાર્ગનું પ્રક્ષેપણ છે. ક્રાન્તિવૃતનાં ૧૨ વિભાગ પાડીને તે દરેકને એક નામ આપવામાં આવ્યું છે જે "રાશિ" તરીકે ઓળખાય છે. આ જ ક્રાન્તિવૃતનાં ૨૭ વિભાગ પાડવામાં આવ્યા છે જે દરેક વિભાગ "નક્ષત્ર" તરીકે ઓળખાય છે.

કોઇપણ વર્તુળનું માપ ૩૬૦ અંશ હોય છે. ક્રન્તિવૃતનું માપ પણ ૩૬૦ અંશ છે. આ ૩૬૦ અંશને ૧૨ ભાગમાં વિભાજીત કરતાં ૧ રાશિનું માપ ૩૦ અંશ થશે. આ જ ૩૬૦ અંશને જો ૨૭થી વિભાજીત કરવામાં આવે તો એક નક્ષત્રનું માપ ૧૩ અંશ ૨૦ કલા થશે. એક અંશને ૬૦ ભાગમાં વિભાજીત કરતાં તે દરેક ભાગ "કલા" કહેવાય છે. એક કલાને ૬૦ ભાગમાં વિભાજીત કરતાં તે દરેક ભાગ "વિકલા" કહેવાય છે. આમ, જ્યોતિષનાં પરિમાણો નીચે મુજબ છે.

૩૬૦ અંશ = ૧ રાશિચક્ર/૧૨ રાશિ/૨૭ નક્ષત્ર
૩૦ અંશ = ૧ રાશિ
૬૦ કલા = ૧ અંશ
૬૦ વિકલા = ૧ કલા
૧૩ અંશ ૨૦ કલા = ૧ નક્ષત્ર

ક્રન્તિવૃત પર એક ચોક્કસ આરંભબિંદુ નક્કી કરવામાં આવ્યું છે જયાંથી નક્ષત્રો અને રાશિઓનાં વિભાગની શરૂઆત થાય છે. ભારતીય જ્યોતિષ નક્ષત્ર આધારિત છે અને અશ્વિની નક્ષત્ર એ ક્રાન્તિવૃતનું આરંભબિંદુ છે.

આકાશમાં ગ્રહો સૂર્ય આસપાસ દીર્ઘવર્તુળાકારે કે અંડાકારે પ્રદક્ષિણા કરતાં રહે છે. સૂર્ય એ મધ્યમાં રહેલો ગ્રહ છે. તેની આસપાસ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ અને શનિ એ ક્રમમાં ગ્રહો પ્રદક્ષિણા કરતાં રહે છે. બુધ અને શુક્ર એ બંને ગ્રહો સૂર્યની નજીક છે તથા સૂર્ય અને પૃથ્વીની વચ્ચે રહેલાં છે. આ બંને ગ્રહો "અંતર્વતિ" અથવા સામાન્ય ભાષામાં અંદરનાં ગ્રહો તરીકે ઓળખાય છે. મંગળ, ગુરુ અને શનિ એ ત્રણેય ગ્રહો પૃથ્વીની સૂર્ય ફરતેની ભ્રમણકક્ષાની બહાર રહેલાં ગ્રહો છે. આ ત્રણ ગ્રહો "બહિર્વતિ" અથવા તો બહારનાં ગ્રહો તરીકે ઓળખાય છે. ચન્દ્ર એ ઉપગ્રહ છે અને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. પરંતુ જ્યોતિષમાં તેને ગ્રહ તરીકે જ ગણવામાં આવે છે ચન્દ્રની ભ્રમણકક્ષા ક્રાન્તિવૃતને બે ભાગમાં છેદે છે. ઉત્તરનું છેદનબિંદુ "રાહુ" અને દક્ષિણનું છેદનબિંદુ "કેતુ" તરીકે ઓળખાય છે. રાહુ અને કેતુને ભારતીય જ્યોતિષ પરંપરામાં ગ્રહો તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાયનાં ગ્રહો હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોને ભારતીય જ્યોતિષમાં સ્થાન આપવામાં આવ્યું નથી. એવું નથી કે આપણાં ઋષિમુનિઓને તેમનાં અસ્તિત્વ વિશે જાણ નહોતી. શાસ્ત્રોમાં તેમનો જુદાં નામ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો જ છે. પરંતુ આ ગ્રહો આપણાથી ખૂબ દૂર હોવાને લીધે આપણાં ઉપર તેમની અસર નહિવત થાય છે. જેથી ભારતીય જ્યોતિષમાં તેમને ગ્રહ તરીકે સ્થાન આપવામાં આવ્યું નથી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા