My Photo
Vinati Davda
હું રાજકોટ સ્થિત જ્યોતિષ, અંકશાસ્ત્ર અને વાસ્તુ સલાહકાર છું. જ્યોતિષ વિદ્યા મને મારા પિતા પાસેથી વારસામાં મળેલ છે. હું માનું છું કે જ્યોતિષ શીખવાં માટે એક જીંદગી પણ ઓછી છે અને રોજ તમે કંઈક ને કંઈક નવું શીખતાં રહો છો. આમ છતાં આજ સુધી જે કંઈ શીખ્યું છે, જાણ્યું છે તેની વહેંચણી આ બ્લોગ દ્વારા કરવાં ઈચ્છુ છું. હાલમાં જ જન્મભૂમિ પંચાગ વિ.સં ૨૦૬૬(ઓક્ટોબર ૨૦૦૯ થી માર્ચ ૨૦૧૧)માં મારો "વિશિષ્ટ લગ્ન : ઈન્દુ લગ્ન" એ વિષય પર લેખ પ્રકાશિત થયેલ છે. આપના બ્લોગ અંગેનાં અભિપ્રાય કે સૂચનો અથવા વ્યક્તિગત કુંડળી માર્ગદર્શન માટે vinati_davda@yahoo.co.in પર સંપર્ક આવકાર્ય છે.
View my complete profile

December 9, 2009

મકર

મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ છે. તે ચર અને પૃથ્વીતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી શનિ છે. મકર રાશિમાં ઉત્તરાષાઢા નક્ષત્રનાં છેલ્લા ત્રણ ચરણો, શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રનાં પહેલાં બે ચરણોનો સમાવેશ થાય છે.

મકર રાશિનું ચિહ્ન મૃગનાં મોઢાવાળી મગર છે. મકર રાશિનાં જાતકો કૃશકાય, લાંબી ડોક, લાંબુ નાક અને ઊંડી આંખો ધરાવતાં હોય છે. તેઓ મિતવ્યયી અને વ્યવહારકુશળ હોય છે. મકર રાશિનાં જાતકો હંમેશા એક જ પધ્ધતિથી ધીમે-ધીમે કાર્ય કરનારાં હોય છે. તેઓ પોતાનું કાર્ય ખંતપૂર્વક કરે છે. એક વાર કોઈ કાર્ય સ્વીકારે તો પછી તેને પૂરી કુશળતાથી પૂર્ણ કરે છે. તેઓ પોતાનાં કાર્ય પ્રત્યે સમર્પિત વલણ ધરાવનારાં હોય છે. મકર રાશિનાં જાતકો વ્યવસાયમાં ગણતરીબાજ હોય છે. તેઓ ઝડપથી નિર્ણય લેનારાં અને ઉત્તમ વ્યવસ્થાશક્તિ ધરાવનારાં હોય છે. વ્યવસ્થામાં કુશળ હોવાથી એક સારા આયોજક કે પ્રબંધક બની શકે છે. મકર રાશિનાં જાતકો તેમનાં જીવન દરમ્યાન અનેક મૂશ્કેલીઓ, અડચણો અને અવરોધોનો સામનો કરે છે. તેઓ સારી સહનશક્તિ ધરાવે છે અને દરેક મૂશ્કેલીઓમાંથી બહાર આવવાં શક્તિમાન હોય છે. મકર રાશિનાં જાતકો પોતાની લાગણીઓને છૂપાવીને રાખે છે અને અભિવ્યકત કરી શકતાં નથી. સંયમિત વલણ અપનાવે છે. તેઓ પોતાનાં સંબંધોમાં પણ લાગણીઓને શબ્દો વડે અભિવ્યકત કરતાં નથી. આથી ઘણીવાર ગેરસમજનો ભોગ બને છે અને હેરાન થાય છે. ઘણીવાર અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. મોટેભાગે મોડાં લગ્ન કરે છે પરંતુ સારાં જીવનસાથી પૂરવાર થાય છે. મકર રાશિનાં જાતકો વધુ પડતી ચિંતાઓ કરવાવાળો સ્વભાવ ધરાવે છે. ઘણીવાર નિરાશાવાદી અને નકારાત્મક વલણ ધરાવે છે. મનમાં આનંદની ઉણપ રહે છે અને હંમેશા ઉદાસીન, અતડાં, વહેમી અને સાવધ રહેનારાં હોય છે. દરેક વસ્તુની નબળી બાજુ જોવાનો અને ટીકા કરવાનો સ્વભાવ ધરાવે છે. તેઓ મિત્ર તરીકે સારાં પરંતુ શત્રુ તરીકે નિર્દય હોય છે. મકર રાશિનાં જાતકો ધૈર્યવાન, મહેનતુ અને ધીર-ગંભીર સ્વભાવ ધરાવનારાં હોય છે.

December 8, 2009

ધનુ

ધનુ રાશિ રાશિચક્રની નવમી રાશિ છે. તે દ્વિસ્વભાવ અને અગ્નિતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી ગુરુ છે. ધનુ રાશિમાં મૂળ નક્ષત્ર, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રનાં પ્રથમ ચરણનો સમાવેશ થાય છે.

ધનુ રાશિનું ચિહ્ન ધનુર્ધારી અર્ધમાનવ અર્ધઅશ્વ છે. ધનુ રાશિનાં જાતકો ઊંચા, સુડોળ, ભરાવદાર ગાલ, વિશાળ ભાલ, મોટી આંખો અને ભોળો ચહેરો ધરાવતાં હોય છે. અર્ધ અશ્વ હોવાથી ધનુ રાશિનાં જાતકો અશ્વની માફક ઉર્જા, જોશ અને તાકતથી ભરપૂર હોય છે. તેઓ કાર્યશીલ હોય છે અને જલ્દીથી થાકતાં નથી. નિર્ભીક અને હિમતવાન હોય છે. જીવનની દરેક મૂશ્કેલ પરિસ્થિતિઓનો દ્રઢતાથી સામનો કરે છે. તેઓ આત્મવિશ્વાસ ધરાવે છે અને શક્તિશાળી હોય છે. ધનુર્ધારી અર્ધ માનવે તીર વડે પોતાનાં લક્ષ્ય પર નિશાન તાકેલું છે. આ જ રીતે ધનુ રાશિનાં જાતકોનું ધ્યાન હંમેશા પોતાનાં લક્ષ્ય પર કેન્દ્રિત હોય છે અને તેઓ પોતાનાં લક્ષ્ય પ્રાપ્ત કરીને રહે છે. લક્ષ્યની સિધ્ધિ માટે બધી હદો ભૂલી જાય છે. તેઓ ચીવટપૂર્વક કાર્યો કરનારાં અને કાર્ય કરતી વખતે પરિણામનો વિચાર નહિ કરનારાં હોય છે. તેઓ સ્પષ્ટવક્તા હોય છે અને ઘણીવાર તેને લીધે સંકોચજનક પરિસ્થિતિમાં મૂકાય જાય છે. ધનુ રાશિનાં જાતકો ભગવાનથી ડરીને ચાલનારાં અને સત્યપ્રિય હોય છે. તેઓ ફિલસૂફી અને ધાર્મિક બાબતોમાં રુચિ ધરાવનારાં હોય છે. તેઓ પરોપકારી, પરંપરાઓને જાળવનારાં, કાયદાઓ અને રીતરીવાજોને માન આપનારાં હોય છે. ન્યાયપ્રિય હોય છે અને ન્યાય માટે પારકી તકરાર પણ વહોરી લે છે. જવાબદારીઓથી ગભરાય છે અને સ્વતંત્રતા પસંદ કરનારાં હોય છે. તેઓ ઉચ્ચ અભ્યાસની પ્રાપ્તિ કરે છે અને શોધક બુધ્ધિ ધરાવે છે. ધનુ રાશિનાં જાતકો ઝડપથી નિર્ણયો લઈ શકતાં નથી. મુસાફરીઓના શોખીન હોય છે. તેઓ કાર્યદક્ષ, નમ્ર, વફાદાર, ઉદાર અને હસમુખો સ્વભાવ ધરાવે છે. પ્રસિધ્ધિની કામના ધરાવતાં હોય છે. રમત-ગમતમાં તેમની વિશેષ અભિરુચિ હોય છે. ધનુ રાશિનાં જાતકોની અંતઃપ્રેરણાઓ મોટેભાગે સાચી પડે છે.

December 7, 2009

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિ રાશિચક્રની અષ્ટમ રાશિ છે. તે સ્થિર અને જળતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી મંગળ છે. વૃશ્ચિક રાશિમાં વિશાખા નક્ષત્રનું છેલ્લુ ચરણ, અનુરાધા અને જ્યેષ્ઠા નક્ષત્રનો સમાવેશ થાય છે.

વૃશ્ચિક રાશિનું ચિહ્ન વીછીં છે. વૃશ્ચિક રાશિનાં જાતકો મધ્યમ કદ, મજબૂત બાંધો અને પહોળો ચહેરો ધરાવતાં હોય છે. વૃશ્ચિક રાશિનાં જાતકો કૃતનિશ્ચયી હોય છે. જીવનનાં માર્ગમાં આવતાં વિઘ્નોને દૂર કરી આગળ વધનારાં હોય છે. તેઓ કલ્પનાશીલ, બુધ્ધિશાળી અને લાગણીશીલ હોય છે. બળવાન અંતઃપ્રેરણા ધરાવતાં હોય છે. વાતો અને રહસ્યોની ગુપ્તતા જાળવનારાં હોય છે. વીંછીનો સ્વભાવ છે ડંખ મારવાનો. વૃશ્ચિક રાશિનાં જાતકો પણ ડંખીલો સ્વભાવ ધરાવનારાં હોય છે. તેઓ વૈરવૃતિ ધરાવનારાં અને પોતાની સાથે થયેલો અન્યાય કે ખરાબ વર્તન નહિ ભૂલનારાં હોય છે. સમય આવ્યે મોકો જોઈને બદલો લેનારાં હોય છે. વૃશ્ચિક રાશિ જળતત્વ ધરાવતી રાશિ છે. આથી વૃશ્ચિક જાતકો લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે. લાગણીશીલ હોવાથી પ્રેમ અને ઘૃણા બંનેની અભિવ્યક્તિમાં અતિરેક કરે છે. જ્યારે ઘૃણા કે શત્રુતા થાય ત્યારે અત્યંત શત્રુતાપૂર્ણ વ્યવહાર કરનારાં હોય છે. મિત્રતા અને શત્રુતા બંનેમાં અત્યંત ભાવનાપૂર્ણ વ્યવહાર કરે છે. શત્રુતા થાય ત્યારે અત્યંત વિરોધીવૃતિ ધરાવે છે. તેઓ કઠોર, કટુ અને કટાક્ષપૂર્ણ વાણી ઉચ્ચારનારાં હોય છે. બીજાઓની ટીકા કરવાનું અને પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરવાનું પસંદ કરે છે. તેમનું ગૃહસ્થજીવન ત્યારે જ સુખી હોય છે જ્યારે ઘરનાં બીજા સભ્યોએ તેમનું વર્ચસ્વ સ્વીકારી લીધું હોય. ઘણીવાર સ્વાર્થી અને કપટી મનોવૃતિ ધરાવે છે. ઈર્ષાળુ, ક્રોધી અને સાહસિક સ્વભાવ ધરાવે છે. વ્યસનો અને એક કરતાં વધુ વિજાતીય પાત્રો સાથે સંબંધ ધરાવનારાં હોય છે. વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમી રાશિ છે. અષ્ટમ રાશિ કે અષ્ટમ સ્થાન ગૂઢ બાબતોનો નિર્દેશ કરે છે. એક સારો વૃશ્ચિક જાતક ગૂઢ રહસ્યો અને આધ્યાત્મિક બાબતોમાં રસ ધરાવનારો હોય છે.

December 5, 2009

તુલા

તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ છે. તે ચર અને વાયુતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી શુક્ર છે. તુલા રાશિમાં ચિત્રા નક્ષત્રનાં છેલ્લા બે ચરણો, સ્વાતિ અને વિશાખા નક્ષત્રનાં પહેલાં ત્રણ ચરણોનો સમાવેશ થાય છે.

તુલા રાશિનું ચિહ્ન તુલાધારી પુરુષ છે. તુલા રાશિનાં જાતકો ઉંચા, પાતળાં, સુડોળ, જાડું અથવા પોપટ જેવું નાક પરંતુ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં હોય છે. તુલા એટલે કે સરખી રીતે માપી તોલીને સંતુલન બનાવવું. તુલા રાશિનાં જાતકો પણ હંમેશા જીવનનાં દરેક ક્ષેત્રોમાં સંતુલન અને સંવાદિતા બનાવી રાખવા ઈચ્છે છે. એ સંતુલન વ્યવસાય અને અંગત જીવન વચ્ચેનું હોય કે પછી સાંસારીક જીવન અને આધ્યાત્મિક જીવન વચ્ચેનું સંતુલન. તુલા રાશિનાં જાતકો હંમેશા સંતુલન બનાવી રાખવાં કોશીશ કરતાં રહે છે. તેઓ દરેક બાબતોના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિચારે છે અને ત્યારબાદ પોતાનો નિર્ણય લે છે. તુલા રાશિના જાતકો રચનાત્મક સમીક્ષા કરનારાં અને ન્યાયપૂર્ણ હોય છે. જીવનમાં નવીનતા અને ફેરફારોને આવકારે છે. હંમેશા સુખ-શાંતિ ઈચ્છે છે અને કોઈપણ ભોગે શાંતિ બનાવી રાખવા ઈચ્છે છે. તેઓ ખુશમિજાજ, કલ્પનાશીલ અને બુધ્ધિશાળી હોય છે. મોજ-મજા અને સુખ-સગવડનાં સાધનો તેમને પ્રિય હોય છે. તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ છે. સાતમી રાશિ કે સાતમું સ્થાન વિજાતીય પાત્રો અને સંબંધોનો નિર્દેશ કરે છે. તુલા રાશિનાં જાતકો સહેલાઈથી વિજાતીય પાત્રોથી આકર્ષાઈ જાય છે. તેઓ મોહક વ્યક્તિત્વ ધરાવે છે અને વિજાતીય પાત્રોને પણ સહેલાઈથી પોતાનાં તરફ આકર્ષી શકે છે. તેમનું લગ્નજીવન મોટેભાગે સુખી હોય છે. તેઓ ઘર અને પરિવારને ચાહનારાં હોય છે. તુલા રાશિનાં જાતકો કલાઓમાં અભિરુચિ ધરાવે છે. તેઓ સામાજીક કાર્યો કરનાર, બીજાઓને મદદરૂપ થનાર અને સહેલાઈથી લોકોમાં હળી-મળી જનાર હોય છે. તેઓ ભાગ્યે જ ગુસ્સે થનારા હોય છે. ઘણીવાર આદર્શવાદી હોય છે અને પોતાનાં આદર્શોને પકડી રાખનારાં હોય છે. તુલા રાશિનાં જાતકો નમ્ર અને મૃદુ હોય છે.

કન્યા

કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ છે. તે દ્વિસ્વભાવ અને પૃથ્વીતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી બુધ છે. કન્યા રાશિમાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનાં છેલ્લા ત્રણ ચરણો, હસ્ત અને ચિત્રા નક્ષત્રનાં પહેલાં બે ચરણોનો સમાવેશ થાય છે.

કન્યા રાશિનું ચિહ્ન કુમારિકા છે. કન્યા રાશિનાં જાતકો મધ્યમ ઉંચાઈ, સુડોળ શરીર અને હસતો ચહેરો ધરાવતાં હોય છે. એક કુમારિકાની માફક તેઓ શરમાળ અને સંવેદનશીલ હોય છે. તેઓ સૌમ્ય અને મૃદુભાષી હોય છે. તેઓ આકર્ષક રીતે વાતચીત કરવાની કલા ધરાવે છે અને પોતાની વાતોથી સાંભળનારને મંત્રમુગ્ધ કરી દે છે. તેઓ સમજી અને વિચારીને બોલનારાં હોય છે. પોતાનાં વિચારો વ્યક્ત કરતાં પહેલાં ચકાસી લે છે અને ત્યારબાદ વ્યક્ત કરે છે. પોતાનાં રહસ્યો ગુપ્ત રાખે છે. કુમારિકા પોતાનાં ભવિષ્યનાં સપનાંઓ અને કલ્પનાઓની દુનિયામાં રાચતી હોય છે. આ જ રીતે કન્યા રાશિનાં જાતકો કલ્પનાશીલ હોય છે અને પોતાની કલ્પનાઓ પર દ્રઢ વિશ્વાસ ધરાવનારાં હોય છે. કન્યા રાશિ માનવીય રાશિ છે. આથી કન્યા રાશિનાં જાતકો માટે માનવતા અગ્ર સ્થાને હોય છે. તેઓ સેવાભાવ અને સંબંધોમાં વિશ્વાસ ધરાવનારાં હોય છે. સંબંધોમાં સાવધાન હોય છે અને સંબંધો જોડતાં પહેલાં પૂરતી તકેદારી રાખે છે. કન્યા રાશિનાં જાતકો દરેક બાબતોનું વિશ્લેષણ અને નિરિક્ષણ કરનારાં હોય છે. દરેક બાબતોમાં વિશ્લેષણ કરી કારણો ચકાસ્યા કરે છે અને ત્યારબાદ દલીલો પર ઉતરી આવે છે. લગ્નજીવનમાં પણ દલીલો કર્યા કરે છે અને ઘણીવાર દલીલો વારંવાર કરાતી ફરિયાદોનુ સ્વરૂપ ધારણ કરી લે છે. કન્યા રાશિનાં જાતકો પૂર્ણતાનાં આગ્રહી હોય છે. તેઓ એક સાફ સુથરી, વ્યવસ્થિત અને પૂર્ણ દુનિયા જોવા ઈચ્છે છે. તેઓ બુધ્ધિશાળી, ઉત્તમ માર્ગદર્શક અને સલાહકાર હોય છે. એકસાથે ઘણા બધાં કાર્યો કરવાં ઈચ્છે છે તેથી એક પણ કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરી શકતાં નથી. તેઓ મુસાફરીઓ પસંદ કરનાર હોય છે. ભાગ્યે જ ગુસ્સે થનારાં હોય છે. કન્યા રાશિનાં જાતકો વિદ્વાન, ધૈર્યવાન અને સમજદાર હોય છે.

December 2, 2009

સિંહ

સિંહ રાશિ રાશિચક્રની પાંચમી રાશિ છે. તે સ્થિર અને અગ્નિતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી સૂર્ય છે. સિંહ રાશિમાં મઘા, પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનાં પ્રથમ ચરણનો સમાવેશ થાય છે.

સિંહ રાશિનું પ્રતીક નામ પ્રમાણે જ સિંહ છે. સિંહ રાશિનાં જાતકો ઊંચા, સુદ્રઢ અને સ્નાયુબધ્ધ બાંધો, મજબૂત હાડકાંઓ, પહોળું કપાળ અને અલ્પ કેશ ધરાવતાં હોય છે. તેઓ ગૌરવશાળી અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં હોય છે. સિંહ એટલે કે જંગલનો રાજા. એક રાજામાં હોય તે બધાં જ ગુણો સિંહ રાશિનાં જાતકો ધરાવે છે. તેઓ સત્તાપ્રિય, નિર્ભય, મહાત્વાકાંક્ષી, અભિમાની અને હિંમતવાન હોય છે. જીંદગીમાં હંમેશા દરેક સમયે અને દરેક જગ્યાએ સર્વોચ્ચ સ્થાને પહોંચવાની મહેચ્છા ધરાવે છે. નોકરી અથવા વ્યવસાયમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ કરે છે. સિંહ રાશિનાં જાતકો માટે બીજાની નીચે રહી કામ કરવું મૂશ્કેલ હોય છે. તેઓ જીંદગીના તમામ પડકારોને પહોંચી વળવા તત્પર હોય છે. તેઓ ઓછું બોલવાની ટેવ ધરાવે છે. બોલે ત્યારે ઉંચા સાદે બોલે છે અને ગુસ્સે થાય ત્યારે સિંહની માફક ગર્જના કરે છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. જંગલનો રાજા સિંહ છે તો ગ્રહોનો રાજા સૂર્ય છે. એક રાજા પાસે સત્તાની સાથે પ્રજાના ભરણપોષણની જવાબદારી પણ રહેલી હોય છે. સૂર્યની ગરમી દઝાડે છે તો એ જ સૂર્ય જીવનદાતા પણ છે. આથી જ સિંહ રાશિનાં જાતકો પરોપકારી, વિશાળ હ્રદય ધરાવતાં, ઉદાર અને માનવજાતને ઉપયોગી થવાની ભાવના ધરાવતાં હોય છે. સૂર્ય શિસ્તતાપૂર્વક અચૂક દરરોજ ઉગે છે અને આથમે છે. એ જ રીતે સિંહ રાશિનાં જાતકો પણ પોતાના વ્યવહારમાં શિસ્તતા ધરાવતાં હોય છે. તેઓ ઘરમાં પણ પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરતાં રહે છે. તેમનું લગ્નજીવન મોટેભાગે સમસ્યાઓથી ભરેલું હોય છે. તેઓ સ્વાભિમાની અને સ્વતંત્રતાપ્રિય હોય છે. તેઓ માને છે કે તેઓ માલિક છે અને બીજાઓએ તેમનાં હુકમનું પાલન કરવું એ તેમની ફરજ છે. આ જ કારણથી લોકો તેમનાંથી ડરે છે. હકિકતમાં સિંહ રાશિનાં જાતકો દયાળુ અને બીજાનાં દુઃખદર્દમાં ભાગીદાર થવા ઈચ્છુક હોય છે.

December 1, 2009

કર્ક

કર્ક રાશિ રશિચક્રની ચતુર્થ રાશિ છે. તે ચર અને જળતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી ચન્દ્ર છે. કર્ક રાશિમાં પુનર્વસુ નક્ષત્રના છેલ્લા ચરણ, પુષ્ય અને આશ્લેષા નક્ષત્રનો સમાવેશ થાય છે.

કર્ક રાશિનું ચિહ્ન કરચલો છે. કર્ક રાશિના જાતકો ઓછી ઉંચાઈ, ટૂંકું નાક, ચન્દ્ર જેવો ગોળ ચહેરો, ભરાવદાર ગાલ અને પુષ્ટ શરીર ધરાવતાં હોય છે. કરચલો જમીન અને પાણી એમ બંનેમાં છૂપાઈને રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં જળને લાગણીઓ અને સંવેદનોનું પ્રતીક માનવામાં આવે છે. કર્ક રાશિનાં જાતકો સંવેદનશીલ, લાગણીશીલ અને સહાનુભૂતિપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે. આમ છતાં તેઓ પોતાની લાગણીઓ છૂપાવવામાં પણ કુશળ હોય છે. ઘણીવાર તેઓ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે. કર્ક રાશિના જાતકોને જળ પ્રિય હોય છે. તેઓ દરિયાકિનારે કુદરતનાં સાનિધ્યમાં રહેવાનું કે ફરવાનું પસંદ કરે છે. કરચલો હંમેશા પોતાની પીઠ પર પોતાનું કવચરૂપી ઘર સાથે લઈને ફરે છે અને મૂશ્કેલીનાં સમયમાં પોતાના ઘરમાં છૂપાઈ જાય છે. કર્ક રાશિના જાતકોને પણ પોતાનું ઘર અત્યંત પ્રિય હોય છે. તેઓ પોતાનો મોટાભાગનો સમય ઘર અને પરિવાર સાથે વિતાવવાનું પસંદ કરે છે. તેઓ પોતાના પરિવારજનોની સુરક્ષા અને સંભાળ બાબતે સતર્ક હોય છે. તેઓ પોતાની મોટાભાગની કમાણી સુંદર ઘર બનાવવામાં અને પરિવારજનોનાં ભરણપોષણ પાછળ ખર્ચે છે. તેઓ પોતાના પરિવાર અને સંતાનો માટે કંઈ પણ કરી છૂટવાં તૈયાર હોય છે. ક્યારેક તેમનો વધુ પડતો સંરક્ષણાત્મક અભિગમ તેમનાં સંતાનોને ગૂંગળાવે છે. કર્ક રાશિના જાતકો ઘણીવાર પોતાની માતા માટે વિશેષ લાગણી ધરાવે છે. તેમનામાં દેશભક્તિની ભાવના પણ પ્રબળ જોવા મળે છે. કર્ક રાશિના જાતકો કલ્પનાશીલ હોય છે. તેઓ ઘટનાઓ કે વાર્તાઓનું રસપ્રદ રીતે વર્ણન કરવામાં નિપૂણ હોય છે. ઘટનાઓનું વર્ણન નાટકીય રીતે ચહેરા પર હાવભાવ લાવીને કરે છે. ઘણીવાર નાની વાતને વધારીને કહેવાની આદત હોય છે. કર્ક રાશિના જાતકો પોતે લાગણીશીલ હોવાથી બીજાની લાગણીઓને સહેલાઈથી સમજી શકે છે. તેઓ સારા મનોવૈગ્નાનિક કે મનોચિકિત્સક બની શકે છે. તેઓ ગૂઢ વિષયોમાં રસ ધરાવે છે અને તેમની અંતઃપ્રેરણા બળવાન હોય છે.

આજનું પંચાગ